ગુજરાતમાં કોરોનાના કહેરમાં અનેક લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યાં છે. અનેક લોકોએ પોતાના માતા પિતાની છત્રછાયા ગુમાવી છે. ત્યારે રાજ્ય સરકારે મહામારીના કપરા સમયમાં છત્રછાયા ગુમાવનાર બાળકોને સુરક્ષા કવચ પુરુ પાડવાનો નિર્ણય લીધો છે. મહામારીમાં જે બાળકોના માતા અને પિતા બંનેનુ અવસાન થઈ ગયું હોય અને એ બાળક-બાળકોને એના કોઈ પણ સગા ઉછેરતા હોય તો એ બાળકની 18 વર્ષની ઉંમર સુધી પાલક માતા-પિતા યોજના હેઠળ દર મહિને બાળક દીઠ 3 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે.
જ્યારે જે બાળકના પિતાનું અવસાન થયું હોય અને માતાને બાળકને મૂકીને બીજે પુનર્લગ્ન કર્યા હોય એવા કિસ્સામાં પણ એ બાળકની 18 વર્ષની ઉંમર સુધી પાલક માતા-પિતા યોજના હેઠળ દર મહિને બાળક દીઠ રૂપિયા 3 હજારની સહાય આપવામાં આવશે.આ કામગીરી માટે જિલ્લા બાળ સુરક્ષા એકમ, અમદાવાદની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.
આ ઉપરાંત જે બાળકોના માતા-પિતાને કોરોના પોઝીટીવ હોવાના કારણે હોસ્પિટલમાં દાખલ કર્યા હોય અને તેમના બાળક-બાળકોની સાર-સંભાળ રાખનાર કોઈ જ ન હોય તેવા કિસ્સામાં 0 થી 18 વર્ષના બાળકોની નીચે દર્શાવેલ સંસ્થાઓમાં પ્રવેશ આપી સાર-સંભાળ રાખવામાં આવશે.
6 થી 18 વર્ષના છોકરાઓ માટેની સંસ્થા- ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, શિયાળ, ગામ- શિયાળ, તા-બાવળા
6 થી 18 વર્ષની છોકરીઓ માટે સંસ્થા- ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, ઓઢવ, પાણીની ટાંકી પાસે, જીઆઈડીસી ઓઢવ, અમદાવાદ.
0 થી 6 વર્ષના બાળકો માટેની સંસ્થા – સ્પેશ્યલાઈઝ્ડ એડોપ્શન એજન્સી- ઓઢવ પાણીની ટાંકી પાસે, જીઆઈડીસી ઓઢવ, અમદાવાદ
ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના સ્મશાનગૃહોમાં મૃતદેહોના અંતિમ સંસ્કારની સેવા કામગીરી કરતાં સ્મશાનગૃહના કર્મચારીઓને કોરોના વોરિયર્સ ગણીને તેમને રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સને મળવાપાત્ર તમામ લાભ તારીખ 1 એપ્રિલ 2020ની અસરથી આપવાનો નિર્ણય કર્યો છે. સ્મશાનગૃહમાં ફરજ બજાવતા આવા કોઈ કોઈ કર્મચારીનું કોરોનાને કારણે અવસાન થાય તો તેમના પરિવાર-વારસદારોને રૂપિયા 25 લાખની સહાય પણ રાજ્ય સરકાર આપશે.