ગુજરાતમાં કોરોના ખુબ જ બેકાબુ થઇ રહ્યો છે તેવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાને કાબુમાં લેવા માટે કોર્પોરેશન તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. કોરોનાને કાબુમાં લેવા માટે તમામ અર્બન હેલ્થ સેન્ટર્સ અને મુખ્ય માર્ગો પર ટેસ્ટિંગ તો વધારી જ દેવાયું છે.
જો કે લોકો એકત્ર ન થાય તે માટે કોર્પોરેશન વિસ્તારનાં કુલ 8 સ્થળો પર રાત્રે 10 વાગ્યાથી તમામ ધંધાકિય એકમો બંધ રહેશે. અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા આવા વિસ્તારોની ઓળખ કરીને નિર્ણય લેવાયો છે.
કોરોનાનાં કેસો વધવા અને યુવાનો રાત્રી બજારનાં નામે એકત્ર થતા હોય તેવા વિસ્તારોની ઓળખ કરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સાઉથ બોપલ સહિત, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા, પાલડી, ઘાટલોડિયા અને મણિનગરમાં રાત્રે 10 વાગ્યા બાદ કોઇ પણ ધંધાકીય એકમ શરૂ નહી રાખી શકાય.
આ અંગે પોલીસ સહિતનાં તમામ સંબંધિત વિભાગોને પણ જાણ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત કોટ વિસ્તારમાં રહેલી ખાણીપીણીની તમામ બજારો પણ બંધ કરાવવા માટે આદેશ આપ્યો છે.
જો કે અહીં એક સ્પષ્ટતા છે કે લોકો ઇચ્છે ત્યાં ફરી શકે છે પરંતુ આ વિસ્તારોમાં 10 વાગ્યા બાદ કોઇ પણ ધંધાકીય એકમ શરૂ નહી રાખી શકે. જેમાં રેસ્ટોરન્ટ, મોલ, શોરૂમ, ટી સ્ટોલ, ફરસાણ અને નાસ્તાની દુકાનો, કાપડની દુકાન, પાન મસાલાના ગલ્લા, હેર સલુન, સ્પા, જીમ ક્લબ વગેરે સ્થળો રાત્રીનાં 10 વાગ્યા બાદ બંધ રાખવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે.
જો કે મહત્વની બાબત છે કે જે વિસ્તારોમાં બંધ કરવા માટેનો આદેશ અપાય છે તેમાં માત્ર અને માત્ર પશ્ચિમનાં જ તમામ વિસ્તારો છે. પૂર્વનો માત્ર એક મણિનગર વિસ્તારનો જ સમાવેશ કરાયો છે.