ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશન દ્વારા રેમડેસીવીર ઇન્જેક્શનના કાળા બજારી કરતા અને ડુપ્લીકેશન કરીને વેચતા ઝડપાયેલા આરોપીઓના કેસ નહી લડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે, આ એક ગંભીર ગુનો છે અને આમાં આરોપીઓને કડકમાં કડક સજા થવી જોઈએ.
સુરતમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આ દરમિયાન કેટલાક શખ્સો દ્વારા આ મહામારીમાં પણ માનવતા નેવે મૂકીને કોરોનાની સારવારમાં ઉપયોગી એવા રેમડેસીવીર ઈજેક્શનની કાળાબજારી કરતા ઝડપાઈ ચુક્યાં છે.
એટલું જ નહી દર્દીઓના જીવના જોખમમાં મૂકીને રૂપિયા કમાઈ લેવાની લાલસામાં ડુપ્લીકેટ ઇન્જેક્શન વેચતા પણ ઝડપાઈ ચુક્યાં છે. લોકોના જીવ જોખમમાં મૂકતા આવા લોકો સામે કડક કાર્યવાહી થાય તે પણ જરૂરી છે.
સુરત ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશનના વકીલ મંડળની એક ઓનલાઈન મીટીંગ મળી હતી, જેમાં ઇન્જેક્શનના કાળા બજારી કરતા અને ડુપ્લીકેશન કરી વેચતા ઝડપાયેલા આરોપીઓના કેસ નહી લડવાનો નિણર્ય લેવામાં આવ્યો છે.
સુરત ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે, હાલમાં લોકો જયારે પોતાના જીવ બચાવવો મુશ્કેલ બન્યો છે, ત્યારે આવા લેભાગુ તત્વો સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને દર્દીઓ સાથે રહેવાનો અમે નિર્ણય લીધો છે. આ એક ગંભીર ગુનો છે અને આમાં આરોપીઓને કડકમાં કડક સજા થવી જોઈએ.