હાલમાં ઘરમાં જ શાકભાજી ઉગાડવાનો શોખ વધી રહ્યો છે, લોકો ઓર્ગેનિક રીતે પોતાના બગીચા, કૂંડા કે અગાશીમાં શાકભાજી ઉગાડવાની કોશિશ કરતા રહે છે. આવામાં વારાણસી સ્થિત ભારતીય શાકભાજી અનુસંધાન સંસ્થા (IIVR) ના વૈજ્ઞાનિકોએ નવી ટેકનીકની શોધ કરી છે.
વૈજ્ઞાનિકોએ પોતાની ટેકનિકથી એક એવો છોડ વિકસિત કર્યો છે, જેમાં બટેટા, ટમેટા, રીંગણ અને મરચાંનું ઉત્પાદન થઈ શકશે. આ છોડને બ્રિમેટો અને પોમૈટો નામ આપવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોએ 5 વર્ષના સંશોધન પછી એક જ છોડમાં ગ્રાફ્ટિંગની મદદથી એક જ છોડમાં બે પ્રકારની શાકભાજી ઉગાડવામાં સફળતા મેળવી છે.
ગુજરાત પેજ સાથે વાત કરતા વૈજ્ઞાનિક ડો. અનંત કુમારે કહ્યુ, ગ્રાફ્ટિંગ ટેકનિકથી તૈયાર કરવામાં આવેલા આ છોડ ઘરના ગાર્ડનમાં કે કૂંડા માટે એકદમ પરફેક્ટ છે. દરેક પોમૈટોના છોડ માથી 2 કિલો ટમેટા અને 600 ગ્રામ બટેકાનું ઉત્પાદન મળી શકે છે. છોડના મૂળિયાંમાં બટેટા અને ઉપરના ભાગમાં ટમેટાનુ ઉત્પાદન થશે.
જ્યારે બીજા બાજુ બ્રિમેટોના એક છોડમાંથી લગભગ બે કિલો ટમેટા અને અઢી કિલો રીંગણાનું ઉત્પાદન લઈ શકાય છે. આ સાથે એક જ છોડમાં ટમેટાની સાથે મરચા અને દૂધી સાથે કાકડી, તેમજ ગલ્કા સાથે કારેલા ઉગાડવામાં સફળતા મળી છે.
બટેટાનો છોડ માટીની સપાટીથી ઓછામાં ઓછો 6 ઈંચ લાંબો થયા બાદ તેના પર ટમેટાંના છોડની ગ્રાફ્ટિંગ કરવામાં આવે છે. બંને છોડની લંબાઈ અને જાડાય સરખી હોવી જોઈએ. 20 દિવસ પછી બંને સારી રીતે જોડાઈ ગયા બાદ આ છોડને ખેતરમાં વાવી દેવામાં આવે છે. વાવણીના બે મહિના પછી ટમેટાંને તોડી લેવામાં આવે છે અને બટેટાને ખોદીને કાઢી લેવામાં આવે છે.
રીંગણાનો છોડ ઉગ્યા બાદ 25 માં દિવસે અને ટમેટાંના છોડને 22 માં દિવસે ગ્રાફ્ટિંગ કરવામાં આવે છે. આવી રીતે એક જ છોડમાંથી બે શાકભાજીનું ઉત્પાદન થઈ શકે છે.