ગુજરાતમાં અનેક જોવાલાયક જગ્યાઓ છે. જે બારેમાસ પ્રવાસીઓથી હાઉસફુલ હોય છે. તેમાં જામનગરનુ ફેમસ મરીન નેશનલ પાર્ક પણ છે, જેમાં પીરોટન ટાપુ આવેલો છે. આ ટાપુ પર જવા માટે છેલ્લા ચાર વર્ષથી પ્રતિબંધ હતો. આખરે આ પીરોટન ટાપુ પરનો પ્રતિબંધ હટાવી દેવાયો છે. પ્રકૃતિ પ્રેમીઓ ચાર વર્ષ બાદ હવે આ ટાપુ પર જઈ શકશે. 6 ફેબ્રુઆરીથી પીરોટન ટાપુ ખુલ્લો મૂકાશે. વાઈલ્ડ લાઇફ મેનેજમેન્ટ અને પ્રવાસીઓની સગવડતાને ધ્યાનમાં રાખીને પખવાડિયામાં ફક્ત ત્રણ જ દિવસ કેટલીક શરતો સાથે ટાપુ મુલાકાતીઓ માટે ખુલ્લો રહેશે. વન વિભાગ જિલ્લા વહીવટીતંત્ર, ગુજરાત મેરીટાઇમ બોર્ડ, કોસ્ટ ગાર્ડ વગેરે સાથે ચર્ચા કર્યા પછી નિર્ણય લેવામા આવ્યો છે.
પીરોટન ટાપુ પર આવવા માટે કેટલીક શરતો લાગુ કરવામાં આવી છે. જેનુ પાલન કડકાઈથી કરાવામાં આવશે.
- પીરોટન ટાપુની મુલાકાત માટે જામનગર વન સંકુલમાંથી પરમિશન લેવી પડશે
- એક દિવસમાં 100 થી વધુ લોકોને મંજૂરી નહિ અપાય
- સૂર્યોદયથી સૂર્યાસ્ત સમય સુધી જ ટાપુની મુલાકાત કરી શકાશે
- ટાપુ પર રાત્રિ રોકાણ નહિ કરી શકાય
- અવાજ ઉત્પન્ન કરતા સાધનો જેવા કે રેડિયો સંગીત વાદ્ય, બ્લુટુથ સ્પીકરને ટાપુ પર લઈ જવા પ્રતિબંધ
- સાથે જ કોઈપણ વન્યજીવોને ખાવાનું નાખી શકશે નહિ, તેમને નિહાળવા પત્થરો પણ ઉંચકવા નહિ
- મુલાકાતીઓ બોટ તથા જેટી કે પોર્ટ વિસ્તારમાં પોતાનું અંગત વાહનોનું રોકાણ કરી શકશે નહીં
9 ટાપુ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો
જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઇ સીમાએ આવેલો અતિ-સંવેદનશીલ જિલ્લો છે. જિલ્લામાં કુલ 9 દરિયાઇ ટાપુ આવેલા છે. જેમાંથી એક માત્ર પિરોટન ટાપુમાં માનવ વસાહત જયારે 8 ટાપુ પર માનવ વસાહત નથી. આ નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્થળો આવેલા હોય અવારનવાર ધાર્મિક પ્રસંગો અને દર્શનાર્થે લોકો અવરજવર કરે છે. આ ટાપુ પર ચાર વર્ષ પહેલા એક ધર્મસ્થાન પાસે તંત્રની જાણ બહાર એક વ્યક્તિની દફનવિધિ કરવામાં આવી હતી. જેથી વન વિભાગે ત્યાં જવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો.
તેમજ આ ટાપુઓ પર રાષ્ટ્રવિરોધી અને દાણચોરી સહિતની ગેરકાયદેસર અને અસમાજીક પ્રવૃતિ કરતા શખસો સહેલાઇ આશ્રય મેળવે અને હથિયારો અને નશાકારક પદાર્થ છુપાવવા ઉપયોગ કરે તેવી પૂરી સંભાવના છે. આથી રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઇ અને આતંકવાદી અને દેશદ્રોહી પ્રવૃતિ રોકવા 9 ટાપુ પર પ્રવેશ માટે લેખિત પરવાનગી લીધા બાદ પ્રવેશ કરી શકાય તે મુજબનું જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રાજેન્દ્રસિંહ સરવૈયા દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. જે અનુસાર આ તમામ 9 ટાપુ પર નાયબ પોલીસ અધિક્ષકની લેખિત પૂર્વમંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો.
13 ડિસેમ્બરના રોજ રાજ્યના ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન દ્વારા ટાપુ પર પ્રવાસીઓને જવાનો પ્રતિબંધ દૂર કરતો પરિપત્ર કરાયો હતો. જેના બાદ પ્રકૃતિ પ્રેમીઓ માટે અહી આવવાનો રસ્તો મોકળો બન્યો છે. આ સ્થળે મોટાભાગના ટુરિસ્ટ્સ મરીન લાઈફ શિક્ષણ માટે આવતા હોય છે. આ ટાપુ જામનગરથી 9 નોટીકલ માઈલ દુર આવેલો છે.